૧૯૮૦માં ગોંડલની ‘સહજ ધ્યાન શિબિર' માંથી પ્રવચન
હું કાંઈ મહા માનવ નથી. હું સિદ્ધોનું બાળક છું. તેમણે મને જે કાંઈ કહ્યું છે તે તમને આપું છું, દત્ત મંત્ર "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" એ વરદાની મંત્ર છે છતાં તમને શંકા રહેતી હોય તો હું શું કરું ?
ગૃહસ્થી, સાધુ, સંન્યાસી કે ફ્કીર હોય, દરેકે સમજવું પડશે. હવે સમય બદલાઈ રહ્યો છે. થોડા સમયમાં જ તમને તેનો પરચો મળશે. સતયુગ આવી રહ્યો છે.
મારો સ્વભાવ છે એકલા ખાવું નહિ અને તેથી મને જે કાંઈ મળ્યું છે તે સૌના કલ્યાણ માટે વાપરી રહ્યો છું.
મંદિર, મસ્જીદ, મઠ, દેરાસરમાં, વૈકુંઠમાં ભગવાન નથી અને જો ત્યાં હોય તો તે બધી જગ્યાએ છે. ભગવાનનું વચન છે કે - જે સાચા પ્રેમથી મને યાદ કરે છે ત્યાં હું જાઉં છું. ભગવાન મંદિરો, વાડાબંધી કે સંપ્રદાયો પૂરતા નથી. ભગવાનનું કોઈ સ્વરૂપ નથી પણ પ્રભુનું વ્યાપક સ્વરૂપ બતાવવા માટે મૂર્તિ એક પ્રતીક છે. તમામ શંકાઓ છોડી "ઈશ્વર સર્વ વ્યાપક છે" તેમ સમજીને ચાલવું જોઈએ.
જ્યારે કોઈ સમર્થ ગુરુ મળી જાય ત્યારે તે તેની પ્રબળ ઈચ્છા શક્તિ તમારામાં આરોપે છે અને ત્યારથી તમારી સાધનાની શરૂઆત થાય છે. તે પહેલાની તમારી સાધનાનો અર્થ એવો થયો કે - તેણે તમને સારા ગુરુ મેળવી આપ્યા. આ ગુરુ તમને આશીર્વાદ આપે છે અને સારા માર્ગે લઈ જાય છે.
સંસારી માણસો સંસારી બાબતોમાં પાછા ખેંચાવા લાગે ત્યારે ગુરુ તેને પાછા સારા માર્ગે ખેંચી લાવે છે. માયા અને બ્રહ્મ બન્નેમાં સરખી શક્તિ છે. સંસારી માનવી આ બંને તરફ ખેંચાયા કરે છે. આમાં જાઉં કે તેમાં જાઉં પણ ગુરુ તેને યોગ્ય માર્ગે લઈ જાય છે.
સાધના દરમ્યાન ધ્યાન લાગે ત્યારે તમારી કસોટી થાય છે અને તેનાથી તમારી કઈ કક્ષા છે તે નકકી થઈ જાય છે. એકાંતમાં ધ્યાન લગાવો છતાં વિચારો શાંત ન થાય તો સમજજો કે - હજી ઘણો રસ્તો કાપવો બાકી છે. નાભીની નીચે કુંડલિની જાગૃત ન થાય ત્યાં સુધી અનુભૂતિ થવાની નથી. મૂલાધાર ચક્રથી શરૂઆત થાય છે.
પરમાત્મા આંતર શુદ્ધિની પ્રક્રિયા અન્નમય કોષથી શરૂ કરે છે ત્યારે લાલ, પીળા, કાળા ઝાડા થાય છે. ઉલ્ટીઓ થાય છે જેનાંથી સાધનામાં બાધક એવો કચરો બહાર નીકળી જાય છે. ખોરાક સાત્ત્વિક હોય તે જ હજમ થાય છે બાકીનો બહાર નીકળી જાય છે. હોજરી સાત્ત્વિક ખોરાક ખાવા ફરજ પાડે છે. અન્નમય કોષની શુદ્ધિમાં ઘણો સમય લાગે છે ત્યાર બાદ પ્રાણમય કોષની શુદ્ધિ થાય છે. તમે જે ધ્યાન ધરો છો તે ધ્યાન નથી પણ પૂર્ણ કક્ષાએ પહોંચવા માટેનો એક તબક્કો છે.
અન્નમય કોષ અને પ્રાણમય કોષની શુદ્ધિની પ્રક્રિયા સાથે ચાલે છે. સાત્ત્વિક સિવાયના અન્નનો ત્યાગ કર્યા પછી બાર વર્ષે અન્નમય કોષની શુદ્ધિ થાય છે. કોઈ સારા ગુરુ મળી જાય તો વહેલું પણ થઇ શકે છે. ઘણાં કિસ્સા એવા છે કે - ૨૫-૩૦ વર્ષોથી ફ્ળાહાર કરતા સાધકોને હજી સાક્ષાત્કાર નથી થયો. તમે શા માટે સ્વાદનો ત્યાગ કર્યો છે તેનું લક્ષ્ય યાદ રાખવું જોઈએ. તે યાદ ન રહે તો ફ્ળાહારનો કોઈ અર્થ નથી અને તેથી જ સાધના પણ સારા ગુરુ વગર થઈ શકતી નથી.
(૫.પૂ. બાપુશ્રીના સાનિધ્યમા ૧૪, ૧૫, ૧૬ માર્ચ ૧૯૮૦ ગોંડલની ‘સહજ ધ્યાન શિબિર'માંથી)
"હું કાંઈ મહા માનવ નથી. હું સિદ્ધોનું બાળક છું. તેમણે મને જે કાંઈ કહ્યું છે તે તમને આપું છું, દત્ત મંત્ર "હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત" એ વરદાની મંત્ર છે છતાં તમને શંકા રહેતી હોય તો હું શું કરું ?"
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ
sidhha
kalyug
sadhana
dhyana
muladhar
shibir
gondal
where is lord
MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj
Hari Om Tatsat Jai Guru Datta
Mantra for mental peace