સાધના
શાસ્ત્રો, પુરાણો અને ગ્રંથો વાંચવાથી શાસ્ત્રી થઈ શકાય છે. સારા વક્તા બની શકાય છે, પણ દેવત્વ મળતું નથી, તે માટે તો સમર્થ ગુરુની જરૂર પડે છે. આવા ગુરુ ગૂઢ રહસ્યો સમજાવે છે.
ઉપાસના દરમ્યાન કોઈએ ઈન્દ્રાસન મેળવવાની વાંછના રાખવી જોઈએ નહીં. પૂર્વના સારા કર્મોથી શ્રીમંતને ઘેર જન્મ મળે તે સાચું પણ શ્રીમંતાઇમાંથી ખરાબી પણ જન્મે છે. લક્ષ્મી સરળતાથી મળતી નથી. તે માટે ઘણું ખોટું કરવું પડે છે. આવી આસુરી સંપત્તિ પાછળથી ઘણું મોટું નુકશાન કરે છે.
ખેતી કે વેપાર કાંઈ પણ ધંધામાં કમાણી કે નફો કરતી વખતે જાણ્યે-અજાણ્યે ઘણાં પાપ અને હિંસા થઈ જાય છે, જેથી પોતાની કમાણીના દશ ટકા પરમાર્થ માટે વાપરવા જોઈએ અને પરોપકાર પણ અન્નક્ષેત્ર, દવાખાના કે શિક્ષણ પાછળ કરવો જોઈએ. ભૂખ્યાને અન્ન, માંદાને દવા અને ગરીબ વિદ્યાર્થીને શિક્ષણની સગવડ આપવી જોઈએ.
ઘણાંનો ધંધો નબળો ચાલે કે વેપારમાં નુકશાન જવા લાગે ત્યારે કહે છે કે - ગ્રહદશા ખરાબ ચાલે છે. કાંઈક વળગાડ નડતો લાગે છે પણ તે સાચું નથી. તમારા સારા-સંચિત કર્મોની કમાણી ખલાસ થવાથી આમ થયું છે તેમ નકકી માનજો.
ભલે તમે કંગાળ રહો પણ અયોગ્ય માર્ગે ન ચાલો તો એક દિવસ પરમાત્મા તમારી મદદે આવશે અને તમારે જે જોઈએ તે આપશે.
તમે જે કાંઈ ખોટું કરો કે ચોરી કરો છો તે ભગવાન બધું જુવે છે કારણ કે પરમાત્મા અણું અણુંમાં છે.
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સારા-નરસા કર્મો થયા કરવાના તો મુક્તિ ક્યારે મળે ? તેનો જવાબ છે કે - તમે પૂજા કરવા બેસો ત્યારે હાથમાં જળ લઈ તમારા સારા-નરસા કર્મો ભગવાનને સમર્પિત કરવામાં તમારું મન ડંખશે, બીક લાગશે અને તેથી તમારું આચરણ સુધરવા લાગશે. ખરાબ કર્મો કરવાનું મન નહિં થાય અને ખરાબ સંચિત કર્મોનું ફળ ખલાસ થઈ જશે ત્યારે મુક્તિપંથ મોકળો થશે.
સાધક સાધનાની શરૂઆત કરે છે ત્યારે સાથે સાથે તેની કસોટી પણ શરૂ થાય છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ હાજર થઈ જશે અને તમને ચલિત કરવા લલચાવશે ત્યારે જો સાધક મકકમ ન રહે તો કંઈ હાથ આવતું નથી.
ઈચ્છા તો બધાને હોય છે પણ ઈચ્છા શક્તિ હોતી નથી. તીવ્ર ઈચ્છા શક્તિ હોય તો માત્ર ત્રણ વખત મંત્ર બોલવાથી પણ સિદ્ધિ મળે છે. કોઈ પણ મંત્રજાપ શ્રદ્ધાથી કરવો જોઈએ. શ્રદ્ધા નહિ હોય તો પરિણામ નહિ આવે.
ભગવાન દત્ત પ્રગટ થયાં ત્યારથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હાજર છે જેથી તેની ઉપાસના કરવી જોઈએ. મારી ગેરહાજરીમાં પણ આ મંત્રથી અનુભૂતિ થશે તેનાથી વધારે સારું પરિણામ શું હોઈ શકે ?
સાધના વખતે અનેક વિઘ્નો આવે છે અને સાધના અધુરી રહી જાય છે તેને યોગભ્રષ્ટ આત્મા કહે છે અને તે ફરીવાર જન્મે ત્યારે જ્યાંથી અઘરું મુકયું હોય ત્યાંથી પાછું શરૂ થાય છે.
(પ.પૂ. બાપુશ્રીના સાનિધ્યમા ૧૪, ૧૫, ૧૬ માર્ચ ૧૯૮૦ ગોંડલની ‘સહજ ધ્યાન શિબિર'માંથી)
"સાધક સાધનાની શરૂઆત કરે છે ત્યારે સાથે સાથે તેની કસોટી પણ શરૂ થાય છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ હાજર થઈ જશે અને તમને ચલિત કરવા લલચાવશે ત્યારે જો સાધક મકકમ ન રહે તો કંઈ હાથ આવતું નથી."
~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ
guru mahima
sadhana success
importance of guru in life
MahaMantra Drashta P.P. Maharshi Punitachariji Maharaj
Hari Om Tatsat Jai Guru Datta
Mantra for mental peace